માલ્યા, મોદી, ભંડારી...ભાગેડુઓની વતન વાપસી માટે ED, CBI અને NIAની ટીમ બ્રિટન જશે


  • Published By :
  • Published Date : 2024-01-16 18:13:42

ભારતમાં કરોડો અને અબજો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓને વહેલી તકે સ્વદેશ પરત લાવવાની દિશામાં સરકારે મોટું પગલું ભર્યું છે. બ્રિટનમાં બેઠેલા કૌભાંડીઓને ભારત પરત લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓની એક ટીમ બનાવવામાં આવી છે. સરકાર ટૂંક સમયમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની બનેલી એક ઉચ્ચ સ્તરીય ટીમ બ્રિટન મોકલી રહી છે. તેનો હેતુ હથિયારોના ડીલર સંજય ભંડારી, હીરાના વેપારી નીરવ મોદી અને કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યા સહિત ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત, ટીમ ભાગેડુઓની ગેરકાયદેસર કમાણીનો પણ તાગ મેળવવાનો પ્રયાસ કરશે, જે તેમણે બ્રિટન અને અન્ય દેશોમાં મિલકતો ખરીદવા પાછળ ખર્ચી છે.


બ્રિટિશ અધિકારીઓ સાથે બેઠક કરશે


સૂત્રોનું કહેવું છે કે આ ટીમનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના એક સિનિયર અધિકારી કરી રહ્યા છે. લંડનમાં ભારતીય હાઈ કમિશને યુકેના અધિકારીઓ સાથે બેઠકો નક્કી કરી છે. આ બેઠકોમાં માત્ર એ જ પુરાવા એકત્ર કરવામાં આવશે જેનાથી ખબર પડશે કે ભાગેડુઓએ લંડનમાં કેટલી મિલકત ભેગી કરી છે અને તેમના બેંક ખાતામાં શું ટ્રાન્ઝેક્શન થયા છે.


આર્મ્સ ડીલર ભંડારી 2016માં ફરાર થઈ ગયો હતો. અગાઉ, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલા અનેક સંરક્ષણ સોદાઓની તપાસ શરૂ કરી હતી. ED મુજબ, ભંડારીએ લંડન અને દુબઈમાં મિલકતો હસ્તગત કરી હતી, જે બાદમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાના સહયોગી ગણાતા સીસી થમ્પી દ્વારા નિયંત્રિત કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી.


ત્રણ ભાગેડુઓનું પ્રત્યાર્પણ અટવાયું છે


ભંડારી, મોદી અને માલ્યાનું પ્રત્યાર્પણ હાલમાં બ્રિટનમાં અટવાયું છે કારણ કે તેઓએ ભારત પરત ફરવા સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરી છે. EDએ ભારતમાં તેમની મિલકતો જપ્ત કરી લીધી છે. વિજય માલ્યા અને નીરવ મોદીની હજારો કરોડની પ્રોપર્ટી વેચીને બેંકોના લેણાં ચૂકવવામાં આવ્યા છે.


મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) હેઠળ લાંબા સમયથી બ્રિટિશ સત્તાવાળાઓ સાથે પેન્ડિંગ રહેલી માહિતીના આદાન-પ્રદાન માટે લંડન જતી ટીમ વાટાઘાટ કરવાની છે. ભારત અને બ્રિટન બંને દેશોએ MLAT કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આર્થિક અપરાધીઓ અને અન્યને સંડોવતા ફોજદારી કેસોની તપાસ માટે માહિતી શેર કરવા માટે બંધાયેલા છે. NIAની ટીમ હાલમાં ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા કેટલાય આતંકવાદી શકમંદોની તપાસ કરી રહી છે.


હજારો કરોડના કૌભાંડનો આરોપ


જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલય MLAT સંબંધિત તમામ બાબતોની દેખરેખ રાખવા માટે નોડલ મંત્રાલય છે, વિદેશ મંત્રાલય યુકે સાથે વાટાઘાટો કરવા માટે આ બાબતમાં સામેલ છે કારણ કે તેના દ્વારા તમામ વિનંતીઓ અન્ય દેશોને મોકલવામાં આવે છે. નીરવ મોદી પર PNB સાથે રૂ. 6,500 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપોનો છે, જ્યારે માલ્યાની રૂ. 5,000 કરોડથી વધુની સંપત્તિઓ બેંકો સાથે છેતરપિંડી કરવા બદલ જપ્ત કરવામાં આવી છે.


ED અનેક સંરક્ષણ સોદાઓમાં કથિત લાંચના સંબંધમાં ભંડારી, થમ્પી અને વાડ્રાની તપાસ કરી રહી છે. એજન્સીએ પહેલાથી જ ભંડારીની ભારતમાં રૂ. 26 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે અને તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે, જ્યારે સ્પેશિયલ કોર્ટે તેમને માલ્યા અને મોદીની જેમ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે