મહીસાગર જિલ્લાના ભાજપના બળવાખોર નેતાનું પાટીલે કર્યું સહર્ષ સ્વાગત, જે.પી.પટેલે ફરી કેસરીયો ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-06 14:16:29

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા નેતાઓનું ભરતી અભિયાન શરૂ કર્યું છે. વિરોધ પક્ષોના આગેવાનો અને અગ્રણી પદાધિકારીઓને કેશરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓની સાથે સાથે હવે આપ નેતાઓને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આ કડીમાં હવે બાલાસિનોરના આપના નેતા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ઉદયસિંહ ચૌહાણ ઉપરાંત ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ)એ પણ ઘરવાપસી કરી છે. ઉદયસિંહ ચૌહાણ તથા જે.પી.પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં આજે કેસરિયા ધારણ કરી લીધો છે. જે.પી.પટેલ અને ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. 


પક્ષ પલટુ નેતાઓનું ભાજપમાં સહર્ષ સ્વાગત


લોકસભાની ચૂંટણી પહેલા મહીસાગર જિલ્લાના બે કદાવાર નેતાઓએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) જેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી લુણાવાડા વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો ઉદયસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા અને બાલાસિનોર વિધાનસભા કોંગ્રેસના કદાવર નેતા અને જૂના જોગી હતા. જેઓ ચૂંટણી ટાણે મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં બાલાસિનોર વિધાનસભા બેઠક પર 'આપ'માંથી તેઓએ ગત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. આમ આજે આ બંને પક્ષ પલટુ નેતાઓ ભાજપમાં જોડાયા છે.


કમલમ ખાતે યોજાયો નેતાઓનો ભરતી મેળો


જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે બંને નેતાઓએ ખેસ ધારણ કર્યો હતો. આ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર કમલમ ખાતે તમામ કાર્યકર્તાઓનું બીજેપીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.


પાટીલ અને વાઘાણીએ બળવાખોરો સામે આપ્યું હતું ઉગ્ર નિવેદન


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અગાઉ બળવાખોરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે બળવાખોરો જીતી જશે તો પણ ભાજપમાં નહીં મળે સ્થાન નહીં આપવાની ચીમકી આપી હતી. આ જ પ્રકારે લુણાવાડામાં જ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ ભાજપ સાથે દ્રોહ કરનારાને પાર્ટીમાં પાછા લેવામાં નહીં આવે તેવું સોઈ ઝાટકીને કહ્યું હતું. જો કે આજે જે સી આર પાટીલે જ જે.પી.પટેલ સહિતના બળવાખોરોને સહર્ષ આવકાર્યા છે.


પક્ષ પલટુ નેતાઓ અંગે કાર્યકરો બેવાર વિચારે


કોઈ પણ પાર્ટીના નેતાના કાર્યકરો તેના નેતાની આંધળી ભક્તિ કરતા હોય છે. નેતા પર ભરોસો રાખીને તેને સમર્થન આપતા અને ચૂંટણી પ્રચારમાં દિવસ-રાત મહેનત કરતા હોય છે. જો કે આ નેતાઓ ચૂંટણી જીત્યા બાદ કાર્યકરોને પૂછ્યા વગર જ પક્ષપલટો કરતા હોય છે, આ વખતે કાર્યકરોની હાલત કફોડી થાય છે. વિરોધી પાર્ટીમાં જોડાતા તેમના નેતાઓને જીતાડવા માટે તેમણે તે પાર્ટી સામે જ પ્રચાર કર્યો હોય છે. જો કે આ મોટા નેતાઓ કાર્યકરોની લાગણીની ચિંતા કર્યા વગર પક્ષ પલટો કરે ત્યારે કાર્યકરો પણ જાણે તેમની જાગીર હોય તેમ તેમનો પણ પક્ષપલટો કરાવતા હોય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.