સહારા કંપની ફરી વિવાદમાં, જામનગરના ધુંવાવ ગામની 225 વીઘા જમીન મામલે કંપની સામે થશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-05 21:55:53

જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ અને નગરસીમ વિસ્તારની 21 જેટલા ખેડૂતોની 225 વિઘા શ્રી સરકાર થયેલી જમીન વેચવાના મામલે સહારા કંપની ફરી ચર્ચામાં આવી છે, આ મામલો હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં, સહારા કંપનીએ રાજકોટની કનેરીયા નામની પાર્ટી સાથે આ જમીનનો વેંચાણ વ્યવહાર કર્યો હોવાનું જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ કંપનીએ ગેરકાયદેસર રીતે ધુંવાવના ખેડૂતોની વિવાદી જમીન રાજકોટની એક પાર્ટીને વેચાણ આપવા એગ્રીમેન્ટ જાહેર કર્યું છે, તેના વિરુદ્ધ કાર્યવાહીઓ થશે. કેમ કે, મામલો અદાલતમાં પડતર છે.જામનગરમાં ધુંવાવના ખેડૂતો વતી આ મામલો એડવોકેટ નિલેશ મંગે સંભાળી રહ્યા છે. તેઓએ ધુંવાવના 21 ખેડૂતો વતી આ મામલો હાથમાં લીધો છે, કેમ કે ઓલરેડી આ કેસ વર્ષોથી હાઈકોર્ટમાં પડતર જ છે. અને, આ મુદ્દે નિલેશ મંગેએ એક પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી છે.


આ મામલે જાહેર નોટિસ


પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, ધુંવાવના ખેડૂતો અને સહારા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની વચ્ચે પાછલાં 18 વર્ષથી ધુંવાવ તથા નગરસીમની જમીનોનો વિવાદ ચાલે છે. તે દરમિયાન, તાજેતરમાં રાજકોટની પાર્ટી સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયાએ સવારના એક અખબારમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી છે. આ જાહેર નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જામનગર-રાજકોટ રોડ પર આવેલાં ધુંવાવ ગામમાં તથા નગરસીમમાં આવેલી ખેતીની તથા બિનખેતીની કેટલીક જમીનો સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયા નામની રાજકોટની પાર્ટીએ સહારા નામની ઉપરોકત કંપની પાસેથી ખરીદવા એગ્રીમેન્ટ કર્યો છે. જેનો વેચાણ વ્યવહાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કનેરિયા રાજકોટમાં કાલાવડ રોડ પર, સ્વામી નારાયણ મંદિર સામેના ભાગમાં અર્પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બીજા માળે, 202 નંબરની ઓફિસ ધરાવે છે.


સહારા વિરૂધ્ધ થશે કાર્યવાહી


આ બાબતે જામનગરમાં પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે, આ નોટિસ અનુસંધાને સહારા નામની ઉપરોકત કંપની વિરુદ્ધ IPCની કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, ધુંવાવના આ ખેડૂતોની જમીનોનો મામલો વર્ષોથી હાઈકોર્ટમાં છે. જેમાં વડી અદાલતે સ્ટેટ્સ કવો એટલે કે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ જેતે સમયે કરેલો છે. આ આદેશ આજની તારીખે આ કેસમાં લાગુ હોવા છતાં સહારા નામની આ કંપનીએ ધુંવાવની ઉપરોકત વિવાદી જમીનો વેચાણથી થર્ડ પાર્ટીને આપવા વેચાણ વ્યવહારનો એગ્રીમેન્ટ કર્યો છે અને આ એગ્રીમેન્ટ જાહેર પણ થયો છે એટલે કે આ કેસમાં અદાલતના આદેશ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તેથી સહારા કંપની વિરુદ્ધ ધુંવાવના ખેડૂતો વતી આ કેસમાં અદાલતની અવમાનના નો કેસ પણ દાખલ કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનિય છે કે, ધુંવાવની જમીનોનો સહારા કંપની સંબંધિત આ વિવાદ ભૂતકાળમાં બહુ ગાજયા પછી, વર્ષો સુધી આ પ્રકરણમાં કોઈ સળવળાટ દેખાયો ન હતો, હવે ફરી સળવળાટ શરૂ થયો છે. જેથી સૌ સંબંધિતો અચરજ પણ અનુભવી રહ્યા છે અને ઘણાં બધાં લોકો આ પ્રકરણમાં વિશેષ રસ પણ દાખવી રહ્યા હોવાનું જાણવા મળે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.