માંડલ અંધાપા કાંડ: હાઈકોર્ટની સુઓમોટો, હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ, આરોગ્ય મંત્રી પહોંચ્યા હોસ્પિટલ


  • Published By :
  • Published Date : 2024-01-17 21:08:37

અમદાવાદ જિલ્લાના વિરગામના માંડલમાં આવેલી રામાનંદ આઈ હોસ્પિટલમાં અંધાપા કાંડથી મામલો ગરમાયો છે. માંડલની આ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 દર્દીઓએ મોતિયાની સર્જરી કરાવી હતી. આ સર્જરીના બે દિવસ બાદ 17 જેટલા વ્યક્તિએ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ ઉઠ્યા બાદ ગુજરાત સરકારે તપાસનો આદેશ આપ્યો છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી છે. 


હેલ્થ સેક્રેટરી અને ગ્રામ્ય એસપીને નોટિસ


માંડલ અંધાપા કાંડને લઈ હાઈકોર્ટના જજ એ.એસ. સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. તેમણે સવાલ કર્યો હતો કે ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હતી? સેવામાં ખામી હતી? દવા હલકી ગુણવત્તાની હતી? કે પછી ખરેખર શું પરિસ્થિતિ થઇ હતી? આ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ અને સંબંધિત વિસ્તારના એસપીને એક નોટિસ પાઠવવામાં આવી છે. શા માટે આ પરિસ્થિતિ સર્જાય સહિતની વિગતો સાથેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ માગવામાં આવ્યો છે. તે જ રીતે અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી હતી. આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. આ કેસ 7મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.


આરોગ્ય મંત્રીએ લીધી દર્દીઓની મુલાકાત


માંડલની રામાનંદ આઈ હોસ્પિટલમાં દ 17 જેટલા દર્દીઓને અંધારો આવ્યાના સમાચાર આવતા સરકાર પણ એક્શનમાં આવી છે. આ સમગ્ર મામલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલને આગળના આદેશો સુધી મોતિયાની વધુ સર્જરી ન કરવા પણ જણાવવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે અમદાવાદની એમ.એન્ડ જે આંખની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્ત દર્દીઓને રૂબરૂ મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે 16મી જાન્યુઆરીના રોજ 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જો કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે, તો કડકમાં કડક કાર્યવાહી કરાશે.


શું છે સમગ્ર મામલો?


વિરમગામ તાલુકાના માંડલમા આવેલી રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ગત 10 જાન્યુઆરીના રોજ 29 જેટલા મોતિયાના દર્દીઓની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરવામાં આવ્યા બાદ 17 જેટલા દર્દીઓને આંખમાં અંધાપોની અસર થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાંથી 5 દર્દીઓને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ્યારે 12 દર્દીઓને રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જે 29 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું તેમાં 12 દર્દી સુરેન્દ્રનગરના હતા, જ્યારે 9 દર્દી અમદાવાદ અને 8 દર્દી પાટણ જિલ્લાના હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.