ડીસાના ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 18 લોકોના મોત, મધ્યપ્રદેશથી આવ્યા હતા શ્રમિકો


  • Published By : Admin
  • Published Date : 2025-04-01 15:25:49

રાજ્યમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને ત્યારે સવાલ થાય કે આગ લાગી એ ફેક્ટરી કે જગ્યા કાયદેસર હતી. એની પાસે ડોક્યુમેન્ટ હતા કે કેમ પણ સવાલો પછી જવાબો મળતા નથી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી અને અનેક લોકો એ આગમાં ભડથુ થઈ ગયા. ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું. 

બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક ધડાકો થયો અને ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ત્યારે અત્યાર સુધી 18 મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે. મજુરી કામ માટે ગુજરાત આવ્યા હતા. ફટકડા બનાવવાનું કામ કરતા હતા એમને ક્યાં ખબર હતી કે અહીંયા જિંદગી આસાન કરવા નહીં પણ જિંદગીને હોમવા આવી રહ્યાં છે. ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો અને મૃત્યુ થયું. હાલ તો મૃતકોની ઓળખ કાર્યવાહી ચાલી રહી છે. 

જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ફટકડા બનાવવાની કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને બાજુમાં આવેલુ ગોડાઉન ધરાશાયી થઈ ગયું. ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દુર સુધી કાટમાળ ફેલાયેલો હતો. અને મજુરોના માનવ અંગો પણ દુર સુધી ફેંકાયા હતા. 

દીપક ટ્રેડર્સ  નામની જે કંપનીમાં આ દુર્ઘટના બની તે કંપની ખુબચંદ સિંધી નામના વ્યક્તિની છે. જે ફટાકડાનો હોલસેલનો વેપારી છે. અત્યાર સુધી એ પોતે તમિલનાડુના શિવકાશીની ફટાકડાની ફેક્ટરીઓમાંથી ફટાકડા લાવતો હતો અને અહીંયા વેચાણ કરતો હતો. હવે પોતે ડીસામાં ફટાકડા બનાવવાનું શરુ કર્યું. અને કંપનીના માલિકે માત્ર ફટાકડા વેંચવાની મંજૂરી જ મેળવી હતી. તેની પાસે ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની મંજૂરી હતી જ નહીં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન હાલ તો તપાસ કરી રહ્યું છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.