ફરી પાછી માવઠાની મોંકાણ, રાજ્યના આ જિલ્લાઓમાં આગામી બે દિવસ થશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-12-04 19:24:25

રાજ્યમાં ફરી એક વખત ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળી શકે છે. રાજ્યમાં હાલ ઠંડા પવનોની સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું થઇ રહ્યુ છે. જેના કારણે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, હજી બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે પાંચ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. 

આજે આ જિલ્લામાં માવઠાની શક્યતા


હવામાન વિભાગે આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સાથે જ આવતીકાલે પણ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, દક્ષિણ ભારત પર  હાલ મિચોંગ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર કોઇ અસરની કોઈ શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને રાજ્યમાં પવનની ગતિ 15 થી 20કિલોમીટરની રહી શકે છે.

ઠંડીનું જોર વધશે 


રાજ્યમાં હાલ પવનની દિશા બદલાઇ રહી છે, કેટલાક પવન બંગાળથી આવી રહ્યાં છે. જ્યારે રાજસ્થાન દક્ષિણ  પૂર્વ પર એક હવાનું દબાણ બની રહ્યું છે. જેના કારણે પણ ગુજરાતમા વાદળછાયું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ઠંડીની વાત કરીએ તો બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડતા આંશિક ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં હાલ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે. જે આગામી 2 દિવસ બાદ 16 સુધી ગગડવાની શક્યતા છે. આજે નલિયામાં સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. જ્યારે આગામી બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચે આવવાની શક્યતા છે.

માછીમારો માટે ચેતવણી


આગામી ત્રણ દિવસ પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે. આશરે 10થી 20 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે પવનની ગતિ 40થી 50 સુધી જવાની શક્યતા છે. આ સાથે સી પ્રેશરને કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠે પવનની ગતિ 40થી 50 સુધી જવાની શક્યતા છે. આ સાથે સી પ્રેશરને કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે.

જગતના તાતની મૂંઝવણ વધી


ગુજરાતના હવામાનમાં આવેલા ફેરફારની સૌથી વધુ અસર ખેડૂતો પર થઈ રહી છે. માવઠાના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાની આશંકા છે. આ જ કારણે જગતના તાતની હાલત સૌથી વધુ કફોડી બની છે. અગાઉ પડેલ કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક વાવેતરને નુકશાન થવા પામ્યું હતું. જે બાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ કરાયો હતો. તેમજ એક મહિનામાં સર્વેનો રિપોર્ટ સોંપવા કૃષિમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. તો બીજી તરફ  હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. હવે ફરી વરસાદ પડે તો શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.