વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોઈ MLA મહેશ કસવાલા અકળાયા, અધિકારીઓને આપ્યો ઠપકો


  • Published By :
  • Published Date : 2023-12-06 19:05:02

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભોથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામા આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ કરવામાં આવી છે.   લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સાવરકુંડલા લિલીયાના ધાારસભ્ય મહેશ કસવાલા પણ હાજર હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે લિલીયામા યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લોકોની ગેરહાજરીને લઈને  ધાારસભ્ય મહેશ કસવાલા અકળાઈ ઉઠ્યા હતા. ગુસ્સે થયેલા મહેશ કસવાલાએ ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લીધો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાનો અધિકારીઓને ઠપકાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


લોકોની પાંખી હાજરી જોઈ અકળાયા


લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાના સંબોધનની શરૂઆત બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સવાલ કર્યો કે આમાંથી કેટલા શિક્ષકો છે હાથ ઉંચો કરો, તે બાદ કેટલા આરોગ્ય કર્મચારી કેટલા આંગણવાડી કર્મચારી તેમ વારાફરતી હાથ ઉંચા કરવા જણાવ્યું અને છેલ્લા આમંત્રિતો કેટલા છે તેમને હાથ ઉંચો કરવાનું કહ્યું તો માંડ 8 થી 10 લોકો બતા, વાસ્તવમાં જેમને માટે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે તે લોકોની પાંખી હાજરી અને સંખ્યા બતાવવા માટે આંગણવાડી કર્મચારી અને સરકારી કર્મચારીઓને બેસાડવાની જે અધિકારીઓની નીતિથી મહેશ કસવાલા અકળાયા હતા.


અધિકારીઓને આપ્યો ઠપકો


ધારાસભ્યને જ્યારે ખબર પડી કે આ કાર્યક્રમમાં આમંત્રિત લોકોની સંખ્યા ખુબ ઓછી છે ત્યારે તેમણે કહ્યું કે, "આ આપણી કરૂણતા છે. પહેલો શબ્દ TDO સાહેબ નોંધી લો. સરકારી કર્મચારીઓના આધારે આ કાર્યક્રમ કરવાનો છે એવું સરકારના મનમાં છે જ નહી. આ મારો ઠપકો સમજો તો ઠપકો અને કરૂણતા સમજો તો કરૂણતા. જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને અહીંથી બંધ રાખજો. યાત્રાના રૂટમાં જે ગામડાં છે તે આખા ગામમાં ઢોલ વગાડીને લોકોને કહેવાય જાય અને પબ્લિકને ભેગી કરવાની હોય અને તેને લાભ આપવાના હોય તો જ આ યાત્રા કરવાની છે નહીતર હું રાજ્ય સરકારમાં જવાબ આપી દઈશ મારે લિલીયા તાલુકામાં જરૂર નથી. આ થૂંકના સાંધા આપણને ગમે તેવા છે જ નહી."



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.