મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર, મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ થયા હાજર


  • Published By :
  • Published Date : 2023-01-31 17:20:33

સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચાવી દેનારી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલે આજે મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું છે. મોરબી દુર્ઘટના બાદ  તેઓ ફરાર થઈ ગયા હતા. આ બ્રીજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા, મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ઝૂલતા બ્રિજના રિનોવેશનની કામગીરી ઓરેવા કંપનીએ કરી હતી. આ કામમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ હતી, અને વધુ સુનાવણી તા. 1 ફેબ્રુઆરીના રોજ થવાની છે. તે જ રીતે જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. જો કે તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. એવું માનવામાં આવે છે કે જયસુખ પટેલે ધરપકડ ટાળવા માટે જ સરેન્ડર કર્યું છે.  


ધરપકડ વોરંટ ઈશ્યુ થયું હતું 


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી હતી અને હવે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં આજે જયસુખ પટેલે સરેન્ડર કરી દીધું છે.


ચાર્જશીટમાં શું આરોપો હતા?


તાજેતરમાં જ 27મી જાન્યુઆરીએ પોલીસ દ્વારા મોરબી પુલ દુર્ઘટના મામલે મોરબી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડુ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરાઇ હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલ વિરુદ્ધ કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, મોરબી ઝૂલતા પુલના મેનેજમેન્ટ, મેન્ટેનન્સ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્વારા 15 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો.15 વર્ષના માટે બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે. ઝૂલતા બ્રિજના 49માંથી 22 તાર કટાઇ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી આઠથી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો. 


135 લોકોના મોત થયા હતા


મોરબી શહેરની ઓળખ અને લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ મનાતો  ઝૂલતા પુલ ગત 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો હતો. આ ગોઝારી ઘટના બાદ સમગ્ર સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટના બાદ બ્રિજના સમારકામ માટે જવાબદાર ઓરેવા ગ્રુપના એમ ડી  જયસુખ પટેલ ફરાર થઈ ગયા હતા. હાઈકોર્ટમાં પણ જનહિતની અરજીઓ થઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યાર બાદ સરકાર પર પણ જયસુખ પટેલને પકડવા માટે દબાણ હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે