આ ગામ નથી! સાક્ષાત દ્વારિકા નગરી છે; 7-7 વર્ષથી પાણીમાં ડૂબેલું છે...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 20:27:28

STORY BY SAMIR PARMAR 

પ્રિય વાંચકો! અમેં તમને થોડા પ્રશ્ન પૂછવાના છીએ. તમે દિલ પર હાથ રાખીને જવાબ આપજો હોંને! તમને કેવું લાગે જો તમારે તમારું પાક્કું ઘર મૂકીને ઝૂંપડામાં રહેવું પડે? તે ઝૂંપડામાં લાઈટ ના હોય તો? રાત્રે સૂઈએ તો મચ્છરો કરડીને તમારું શરીર સોજાળી દે તો? તમારું ગામ પાણીમાં ડૂબી જાય અને તમને ભણવા ના મળે તો? તમારા ગામની હાલતના કારણે તમારા લગન ના થાય તો? તમારી પાસે ખેતીની જમીન હોય છતાં તમારે બીજાને ત્યાં મજૂરી કરીને ગુજરાત ચલાવવું પડે તો? તમને સહાય મળે પણ તેમાં ગોલમાલ થઈ જાય તો? સાત સાત વર્ષથી 3 મુખ્યમંત્રીઓ બદલે, ગાંધીનગરમાં તેમને રજૂઆત કરી તમારા ચપ્પલ ઘસાઈ જાય છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહે તો?


કહેવાતા વિકસિત ગુજરાતમાં એક ગામ એવું છે જેમાં આવી સમસ્યા સામે લોકો સાત-સાત વર્ષથી લડી રહ્યા છે... જ્યારે કુદરાત કોપે ત્યારે જ સરકારની જરૂર પડતી હોય છે અને જો સરકાર પણ ત્યારે કામ ના લાગે તો શું કામની હોય છે સરકાર?


2015થી ગામ પાણીમાં ડૂબેલું છે

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં એક નાગલા ગામ છે. આ ગામમાં 2015માં અતિવૃષ્ટિ થઈ હતી. આ વિસ્તારના લોકોના ભાગ્ય પણ ફૂટેલા લાગે છે કે તેમનો જન્મ એવા વિસ્તારમાં થયો જ્યાં વધારે વરસાદ થાય ત્યાર બાદ પાણી ઓસરતા નથી. અતિવૃષ્ટિના કારણે પૂર આવેલું હતું અને નાગલા ગામ પાણીમાં ડૂબી ગયું હતું. લોકોના કોસે તો પણ કોસી-કોસીને કુદરતને કેટલી કોસે? તેમનો તો પ્રદેશ જ એવો છે. અત્યારે 2022નું વર્ષ ચાલી રહ્યું છે અને આ ઘટનાને થયાના સાત વર્ષ થયા છે. આટ આટલા વર્ષો થઈ ગયા બાદ પણ આ ગામમાં પાણી ભરેલુંને ભરેલું જ છે.


અમારે તો મજૂરી સિવાય કોઈ ઉદ્ધાર નથીઃ ગ્રામજનો


આ ઘટના બન્યા બાદ લોકોએ સ્થળાંતર કર્યું હતું અને ગ્રામજનો બાજુના ટેકરાવાળા વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા. લોકો ટેકરા પર ઝુંપડા બાંધીને રહેવા મજબૂર થયા હતા અને હાલ પણ લોકો ત્યાં જ રહી રહ્યા છે. અમેં ઝુંપડા પણ જોયા. ત્યાં કોઈ મચ્છરદાની નહોતી, વીજળી નહોતી, બસ ઝુંપડું અને તેમાં ખાટલા. અમુક ઝુંપડામાં તો ખાટલા પણ નહોતા, લોકો નીચે સૂઈ રહેતા હતા અને આમ કામ ચલાવતા હતા. સાત વર્ષ બાદ પણ આ ગામમાં પહોંચવાની હિંમત માત્ર બે જ લોકોએ કરી છે અને તેઓ જ નાગલામાં રહે છે. બાકીના લોકો હજુ પણ ગામની બહાર રહેવા મજબૂર છે. નાગલા ગામના લોકોનો રોજગાર ખેતી, ખેતમજૂરી અને પશુપાલન પર છે. 


અમારા છોકરા ભણવા જાય તો જાય ક્યાં? ગ્રામજનો


ગામડામાં પૂરની પરિસ્થિતિ થતાં શાળાઓ પણ ડૂબી ગઈ હતી. જો કે આજની તારીખે પણ આ નિશાળો ડૂબેલી જ છે. છોકરાઓને ભણવા માટે દૂર બીજા ગામમાં જવું પડે છે. નાગલાના સમજેલા લોકોએ તો હાઈકોર્ટ સુધી પણ ફરિયાદ કરી દીધી છે પણ તે મામલે કોઈ સુનાવણી નથી થઈ. 2015માં આનંદીબેનની સરકારે NDRFની ટીમ મોકલી લોકોને ગામમાંથી બચાવ્યા હતા. સાત વર્ષમાં ગુજરાત રાજ્યમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા પણ ગામની પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમના પછી વિજય રૂપાણી આવ્યા અને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ આ ગામની મુલાકાત પણ લીધી હતી અને પૂનર્વસનની જગ્યા આપવાનો વાયદો કર્યો હતો. જે મામલે હજુ પણ કોઈ કામગીરી નથી થઈ. આ ગામના એક રૂપિયાવાળા ભાઈનું કહેવું છે કે, મારે તો 20-25 લાખનું મકાન છોડી તંબુમાં રહેવું પડે છે.  


એક ભાઈ પોતાની તકલીફ કહેતા રડી પડ્યા 


સ્થાનિક વ્યક્તિએ પોતાની તકલીફ કહી રડતા-રડતા જણાવ્યું હતું કે હાલ આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છે. તેમણે પણ આ ગામની મુલાકાત લીધી છે. ગામના 500 હેક્ટર જમીનમાં તકલીફ છે. સરકારે નિકાલની કામગીરી કરી છે તેવું ગ્રામલોકોનું કહેવું છે પણ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ટેન્ડરિંગમાં ભ્રષ્ટાચાર થતાં પરિસ્થિતિ ત્યાંને ત્યાં જ છે. થરાદ તાલુકામાં લગ્ન માટે નાગલા ગામનું નામ સંભળાય તો લોકો લગ્ન માટે પણ ના પાડી દે છે. નાગલા ગામના લોકો માટે 400 પ્લોટિંગ માટેનું પૂનર્વસન તૈયાર છે. નાગલા ગામના લોકો ઓગસ્ટમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા તેમની સાથે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. 


આ ગામની પરિસ્થિતિ સાંભળી અમારાથી ના રહેવાયું 

થોડા સમયમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતા કોને સરકાર બનાવવા જઈ રહી છે તે જાણવા અમેં ઈલેક્શન યાત્રા કરી રહ્યા છીએ. અત્યારે ઉત્તર ગુજરાતના ગામડાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા ચાલી રહી છે. જમાવટના રિપોર્ટર સદ્દામ અને કેમેરામેન બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે પહોચ્યા હતા અને આ ગામની સમસ્યા જોઈને તેઓએ ગામના લોકોને ન્યાય અપાવવાના પ્રયાસથી રિપોર્ટિંગ કર્યું હતું.


વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો




બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.