ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાટણ જિલ્લાના કુખ્યાત અસામાજિક તત્વ ભાવેશ રબારીના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ કડક કાર્યવાહીમાં ભાવેશ રબારીનું આલીશાન 'રામાધણી' ફાર્મહાઉસ અને તેમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે. બીજી તરફ હવે ભાવેશ રબારી સહિત તેના 6થી 7 મળતિયા વિરુધ્ધ પાટણમાં વધુ એક હુમલો કરવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશને , ઝીલીયા બ્રધર્સ તરીકે ઓળખાતા , ભાવેશ રબારી, ભાર્ગવ દેસાઈ , અક્કી દેસાઈ અને દેવું દેસાઈ સહિત અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો જહુભા ઠાકોર દ્વારા નોંધાવવામાં આવ્યો છે. જેમાં , જહુભા ઠાકોર પર 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં જીવલેણ હુમલો કરાયો હતો. 4 ગાડીઓના કાફલાએ ફરિયાદીની અર્ટિગા ગાડીને ઘેરી લઈ હુમલો કર્યો હતો. જૂની અદાવતનો બદલો લેવા માટે ભાવેશ રબારીએ આ હુમલો કરાવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. પોલીસે રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હવે વાત કરીએ , આ ઝીલીયા ગામની ઘટના શું હતી તો? ઝીલિયા ગામે રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને થોડાક સમય અગાઉ મોડી રાત્રે જીતુભા અને તેના 15 થી 20 શખ્સોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલું ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું. ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી. ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચેલી પોલીસની 112 વાન પર પણ ટોળાએ હુમલો કરતા કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધું હતું. ત્યારબાદ પાટણ જિલ્લાના પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈ કડક પગલાં ભર્યા છે.પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઘટનામાં સામેલ તમામ ૧૮ અસામાજિક તત્વોને દબોચી લીધા હતા.






.jpg)








