રાજ્યસભા માટે વિદેશમંત્રી એસ જયશંકરે બીજી વખત નોંધાવી ઉમેદવારી, 24 જુલાઈએ યોજાશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2023-07-10 15:07:54

લોકસભા ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો 2024ની વ્યસ્ત છે, ત્યારે દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે 12-39એ વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. એસ જયશંકર રવિવારે ગુજરાત પહોંચ્યા હતા. બીજેપીના ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરી પ્રદીપ સિંહ વાઘેલાએ 9 જુલાઈ, રવિવારના રોજ જણાવ્યું હતું કે એસ જયશંકર સોમવારે તેમનું નામાંકન દાખલ કરશે. તેમનો અને ગુજરાતમાંથી રાજ્યસભાના બે સાંસદોનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થાય છે.


કોંગ્રેસ અને AAP ઉમેદવારો નહીં ઉતારે


ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવાર મેદાને નહીં ઉતારે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત 17 ધારાસભ્યો છે.  


રાજ્ય સભાની ચૂંટણી ક્યારે યોજાશે?


કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.


રાજ્યસભામાં સીટોનું ગણિત કેવું છે?


રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. હાલ રાજ્યસભાની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. શક્તિસિંહ ગોહિલ 2020માં ચૂંટાઇ આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2026માં પૂર્ણ થાય છે. ત્યારે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે તે પણ રિપીટ થઈ શકશે નહીં. ત્યારે અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર છે. જે એપ્રિલ 2018માં ચૂંટાઈ આવ્યા હતા. જેમનો કાર્યકાળ આવતા વર્ષે 2024માં પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવતા વર્ષે પણ ભાજપના ઉમેદવાર જ ચૂંટણી જીતશે. આમ 2026 સુધીમાં ભાજપ પાસે રાજ્યસભાની તમામ બેઠકો હશે.


એસ જયશંકરે  શું કહ્યું?


નામાંકન ભર્યા બાદ એસ જયશંકરે કહ્યું કે મેં હમણાં જ નામાંકન ભર્યું છે અને હું ફરીથી ભાજપનો ઉમેદવાર બન્યો છું. હું PM મોદી, ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું. PM મોદીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં દેશમાં જે પરિવર્તનો થયા છે તેનો એક હિસ્સો બનવાની મને તક મળી છે. મને આશા છે કે આવનારા 4 વર્ષમાં દેશમાં જે પણ પ્રગતિ થશે તેમાં હું યોગદાન આપી શકીશ. છેલ્લા 4 વર્ષમાં મેં ગુજરાતમાંથી ઘણું શીખ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.