દેશમાં મોંઘવારીનો દર 15 મહિનાની ટોચે, છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર, ખાદ્ય ચીજો 11.51 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-08-14 19:21:03

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે.  જૂનમાં 5 ટકાની નીચે રહેલો મોંઘવારીનો દર જુલાઈમાં ઉછળીને 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ડેટાના આધારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે છૂટક ફુગાવાના નવીનતમ ડેટા જાહેર કર્યા છે. મોંઘવારીના આ દરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 ટકાની મહત્તમ મર્યાદાને પાછળ છોડી દીધી છે અને તે 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. 


જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે. જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ થયેલા ડેટા અનુસાર જૂનમાં છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તે 6.71 ટકા હતો.


ખાદ્ય ચીજો 11.51% મોંઘી થઈ


છૂટક ફુગાવાની ગણતરીમાં 'કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ' સૌથી મહત્વપૂર્ણ છે, તે ખાદ્ય ચીજવસ્તુઓમાં વધતી ફુગાવો દર્શાવે છે. તે મુજબ જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે. એટલે કે ખાદ્યપદાર્થો 11.51 ટકા મોંઘા થયા છે.


શહેરોમાં ખાદ્ય મોંઘવારી દર 12.32 ટકા રહ્યો છે ત્યારે ગામડાઓમાં પણ તે 11.04 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2023માં એકંદરે ખાદ્ય ફુગાવો 4.55 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તેનો દર 6.69 ટકા હતો. આ રીતે ખાદ્યપદાર્થો માસિક ધોરણે લગભગ 3 ગણા મોંઘા થયા છે અને વાર્ષિક ધોરણે પણ આ મોંઘવારી લગભગ બમણી થઈ ગઈ છે.


શાકભાજી-મસાલાએ જનતાનું 'તેલ' કાઢ્યું


જુલાઈના આંકડા દર્શાવે છે કે શાકભાજી અને મસાલામાં સૌથી વધુ મોંઘવારી વધી છે. જુલાઈ મહિનામાં શાકભાજી 37.34 ટકા મોંઘા થયા છે. જ્યારે મસાલાનો મોંઘવારી દર 21.63 ટકા રહ્યો છે. આ સિવાય કઠોળ અને અનાજનો મોંઘવારી દર 13 ટકાથી ઉપર રહ્યો છે. ખાદ્ય ફુગાવામાં પણ ખાસ તો શાકભાજીની મોંઘવારી અને તેમાં પણ ટામેટાંની મોંઘવારીને લીધે ફુગાવાએ ફરી માથું ઊંચક્યું છે અને રિઝર્વ બેન્કના સહનીય સ્તરને પાર થઈ ગયો છે. રિટેલ ફુગાવાના ઈન્ડેક્સમાં ફૂડ એન્ડ બેવરેજિસનો હિસ્સો 54.18 ટકા છે અને તેમાં જુલાઈમાં 10.57 ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડેક્સમાં શાકભાજીનો હિસ્સો 7.46 ટકા છે અને જુલાઈમાં તેનો ફુગાવાનો દર સૌથી વધુ 37.34 ટકા રહ્યો છે. અનાજનું વેઈટેજ 12.35 ટકા છે અને તેનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે. દૂધ પણ સતત મોંઘું થઈ રહ્યું છે અને તેનો ફુગાવાનો દર 8.34 ટકા રહ્યો છે. મસાલાની મોંઘવારી પણ ઘણા મહિનાથી ઊંચા સ્તરે છે. જુલાઈમાં મસાલાનો ફુગાવો 21.63 ટકા નોંધાયો હતો, કારણ કે જીરું, હળદર, મરી, ધાણા વગેરેના ભાવ સતત વધી રહ્યાં છે. આમ, અનાજથી લઈને દૂધ અને શાકભાજીથી લઈને મસાલા એમ તમામ મોરચે મોંઘવારી પૂરજોશમાં આગળ વધી રહી છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .