દેશમાં મોંઘવારીનો દર 15 મહિનાની ટોચે, છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર, ખાદ્ય ચીજો 11.51 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-08-14 19:21:03

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે.  જૂનમાં 5 ટકાની નીચે રહેલો મોંઘવારીનો દર જુલાઈમાં ઉછળીને 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ડેટાના આધારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે છૂટક ફુગાવાના નવીનતમ ડેટા જાહેર કર્યા છે. મોંઘવારીના આ દરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 ટકાની મહત્તમ મર્યાદાને પાછળ છોડી દીધી છે અને તે 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. 


જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે. જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ થયેલા ડેટા અનુસાર જૂનમાં છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તે 6.71 ટકા હતો.


ખાદ્ય ચીજો 11.51% મોંઘી થઈ


છૂટક ફુગાવાની ગણતરીમાં 'કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ' સૌથી મહત્વપૂર્ણ છે, તે ખાદ્ય ચીજવસ્તુઓમાં વધતી ફુગાવો દર્શાવે છે. તે મુજબ જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે. એટલે કે ખાદ્યપદાર્થો 11.51 ટકા મોંઘા થયા છે.


શહેરોમાં ખાદ્ય મોંઘવારી દર 12.32 ટકા રહ્યો છે ત્યારે ગામડાઓમાં પણ તે 11.04 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2023માં એકંદરે ખાદ્ય ફુગાવો 4.55 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તેનો દર 6.69 ટકા હતો. આ રીતે ખાદ્યપદાર્થો માસિક ધોરણે લગભગ 3 ગણા મોંઘા થયા છે અને વાર્ષિક ધોરણે પણ આ મોંઘવારી લગભગ બમણી થઈ ગઈ છે.


શાકભાજી-મસાલાએ જનતાનું 'તેલ' કાઢ્યું


જુલાઈના આંકડા દર્શાવે છે કે શાકભાજી અને મસાલામાં સૌથી વધુ મોંઘવારી વધી છે. જુલાઈ મહિનામાં શાકભાજી 37.34 ટકા મોંઘા થયા છે. જ્યારે મસાલાનો મોંઘવારી દર 21.63 ટકા રહ્યો છે. આ સિવાય કઠોળ અને અનાજનો મોંઘવારી દર 13 ટકાથી ઉપર રહ્યો છે. ખાદ્ય ફુગાવામાં પણ ખાસ તો શાકભાજીની મોંઘવારી અને તેમાં પણ ટામેટાંની મોંઘવારીને લીધે ફુગાવાએ ફરી માથું ઊંચક્યું છે અને રિઝર્વ બેન્કના સહનીય સ્તરને પાર થઈ ગયો છે. રિટેલ ફુગાવાના ઈન્ડેક્સમાં ફૂડ એન્ડ બેવરેજિસનો હિસ્સો 54.18 ટકા છે અને તેમાં જુલાઈમાં 10.57 ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડેક્સમાં શાકભાજીનો હિસ્સો 7.46 ટકા છે અને જુલાઈમાં તેનો ફુગાવાનો દર સૌથી વધુ 37.34 ટકા રહ્યો છે. અનાજનું વેઈટેજ 12.35 ટકા છે અને તેનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે. દૂધ પણ સતત મોંઘું થઈ રહ્યું છે અને તેનો ફુગાવાનો દર 8.34 ટકા રહ્યો છે. મસાલાની મોંઘવારી પણ ઘણા મહિનાથી ઊંચા સ્તરે છે. જુલાઈમાં મસાલાનો ફુગાવો 21.63 ટકા નોંધાયો હતો, કારણ કે જીરું, હળદર, મરી, ધાણા વગેરેના ભાવ સતત વધી રહ્યાં છે. આમ, અનાજથી લઈને દૂધ અને શાકભાજીથી લઈને મસાલા એમ તમામ મોરચે મોંઘવારી પૂરજોશમાં આગળ વધી રહી છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.