રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પાર્ટ 2નો રસ્તો ખુલી ચુક્યો છે. હવે , ૪૦૦ કરોડની ૧,૦૫,૮૦૦ ચોરસ મીટરની જમીન પર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. થોડાક સમય અગાઉ , રાજકોટ કલેકટર હસ્તગતની , ૧ લાખ ચોરસ મીટરથી વધુ જગ્યાને દબાણ મુક્ત કરાવવા માટે રાજકોટ પૂર્વના મામલતદાર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ ૬૧ હેઠળ ૧૩૫૮ આસામીઓને કલમ ૨૦૨ મુજબ નોટીસ ફટકારવામાં આવી હતી. જે પછી , આ રહીશોએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા . આ પછી , ૨જી ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટે ડિમોલિશન પર ૩ મહિના માટેનો સ્ટે આપ્યો હતો. અરજદારોને આ ટ્રીબ્યુનલ પંચમાં જવા માટે અને મહેસુલ પંચ દ્વારા ૯૦ દિવસમાં નિર્ણય લેવામાં આવે તે માટેનો ચુકાદો હાઇકોર્ટે આપ્યો હતો. આ પછી આ કેસમાં મહેસુલ પંચ સમક્ષ સરકાર પક્ષ અને ત્યાં દબાણકરીને રહેતા લોકો તરફથી દલીલો કરવામાં આવી હતી. હવે રેવેન્યુ ટ્રીબ્યુનલ કોર્ટે ચુકાદો આપી દીધો છે, જે અંતર્ગત દબાણકર્તાઓની જે અરજી છે તેને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત , રાજકોટ પૂર્વના મામલતદારનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે. તો થોડાક સમય અગાઉ , રાજકોટ કોર્પોરેશને જંગલેશ્વર ખાતે જમીન દબાણમુક્ત કરવા માટે ૧૫૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું . આ કામગીરી અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં ૧૪૮૭ મકાન ઉપર બુલડોઝર ફેરવી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટુ ઓપરેશન ડિમોલીશન કરી ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. તે પછી કલેક્ટર તંત્રની ૧,૦૫,૮૦૦ ચોરસ મીટર જમીનમાં ડિમોલીશન પૂર્વે હાઈકોર્ટે ૩ મહિનાનો સમય આપી કેસ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને તબદીલ કરવામાં આવ્યો હતો અને હવે રેવેન્યુ ટ્રીબ્યુનલએ ચુકાદો આપી દીધો છે.
![]()
ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જંગલેશ્વરમાં ડિમોલીશન સામે અસરગ્રસ્તોએ છ કેસ દાખલ કર્યા હતા. તેમાં પાંચ કેસમાં આધાર-પુરાવા રજુ કરતા આ તમામ કેસને ભેગા કરી દેવામાં આવ્યા છે. એક પખવાડિયા પહેલા આ કેસમાં બે વખત મુદત પડી હતી. રેવેન્યુ ટ્રિબ્યુનલમાં કેસ ફટાફટ ચાલતા હાઈકોર્ટની ૯૦ દિવસની મુદત પહેલા જ કેસનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. હવે , રાજકોટના જંગલેશ્વર ખાતે ૧૩૫૮ મકાનો પર ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે.






.jpg)








