આ આગ ભભૂકતી કોણ રાખવા માગે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:43:04

POINT OF VIEW 

ગાંધીનગરમાં ધમધમતા આ આંદોલનનો આખરે તોડ ક્યારે મળશે? શું સરકારના નાકે દમ લાવી શકશે આ આંદોલનકારીઓ કે પછી કોઇ તો છે જે આ આંદોલનોની આગ સરકારના પગ સુધી લગાવવા માગે છે?


જ્યારે ચૂંટણીઓ નજીક હોય તો સ્વાભાવિક રીતે જ માહોલની ઉગ્રતા અને તીવ્રતા વધી જાય છે, બિલકુલ એવું જ થઈ રહ્યું છે ગાંધીનગરમાં. 20 આંદોલનો ગાંધીનગરમાં ધમધમી રહ્યા છે. સૂત્રોચ્ચાર, ધરણા, અટકાયત અને પોલીસના ધાડેધાડા આ દ્રશ્ય હવે દરરોજનું છે. આંદોલનો ચાલતા રહે તેવું વિપક્ષી પાર્ટીઓ તો ઈચ્છતી જ હોય છે. કારણ કે આંદોલનકારીઓને એમાં કંઈ જ ખોવાનું હોતું નથી. "જે વેચાણ છે એ વકરો છે" એ ન્યાય સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આંદોલનકારીઓને ટેકો જાહેર કરે તે સ્વાભાવિક છે. પરંતુ કેટલાક રાજકીય સૂત્રો કહે છે કે, સરકારના જ કેટલાક સાથીઓ એવું ઈચ્છે છે કે આ આંદોલનો ધમધમતા રહે અને સરકાર બદનામ થતી રહે. એવું કહેવાય છે ને કે જે ઘા પોતાના આપી શકે તવા ઘા પારકા નથી આપી શકતા, આ વાત ભલે ચાણક્યએ ન કરી હોય તો પણ સાચી તો છે , ગુજરાતની રાજનીતિને જાણતા લોકોએ સારી રીતે જાણે છે કે રાજકીય જંગમાં લડવા માટે સામે જ હોવું જરૂરી નથી હોતું. સાથે રહીને પણ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકાય છે. આ ગુજરાતની રાજનીતિમાં નવી વાત નથી, પંચવટીકાંડથી લઈને ખજૂરાહો... અને રાજ્યસભાની ચૂંટણીઓમાં રિસોર્ટકાંડથી લઈને એમ્બ્યુલન્સની સવારી સાથે ખેલ કેવી રીતે થાય છે બધું જ થોડા દિવસો પહેલા આંખોની સામેથી પસાર થયું છે.


કોઈ જ ટ્રબલ શૂટર નથી આ સરકાર પાસે !

આંદોલનો સરકાર બનાવી પણ શકે છે અને ઉથલાવી પણ શકે છે. આ પણ વણ કહી રાજનૈતિક તાકાત છે. બહુ જૂના ઈતિહાસને વાગોળવા નથી જતા પણ થોડા વર્ષો પહેલાનું એટલે કે 2017નું પાટીદાર, અનુસૂચિત જાતિ અને OBCના આંદોલન તો બધાને યાદ જ હશે. તેની ધારી અસર ભલે રાજકીય સમિક્ષકોને ન લાગતી હોય પણ વાસ્તવિકતા તો એ છે કે 1995 બાદ ગુજરાતમાં સત્તા ભોગવતી ભાજપને ડરાવી ડરાવીને જીતાડી હતી. એ પાટીદાર આંદોલન જેની ઉત્પતી સુરતથી થઈ અને એ જ સુરતમાં ભાજપને સૌથી વધારે બેઠકો જીતાડી હતી, અને 99 પણ લાવીને મૂકેલી એ પરિસ્થિતીનો પ્રહાર આજે પણ ભાજપના નેતાઓને આરામથી બેસવા નથી દેતો. એટલા જ માટે આંદોલનોને ડામવા સમાવવા કે શાંત કરવા માટે 5 મંત્રીઓને જવાબદારી તો સોંપી દીધી છે. પણ વાસ્તવિકતા એ છે આ સરકારમાં એક પણ ધાકડ ચહેરો નથી. એક પણ એવો સુઝવાળો નેતા નથી કે જે આ આંદોલનોને તાબડતોબ ખતમ કરી શકે. એનો બોલતો પુરાવો આપણી સામે છે. ચૂંટણી આડે માત્ર 2 મહિના જેટલો સમય રહ્યો છે અને નેતાઓ હવામાં ફીફાં ખાંડે છે, નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના મુખ્યમંત્રી બનેલા આનંદીબહેન ત્યાર બાદ વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલ અને ભૂપેન્દ્ર ચૂડાસમા જેવા મંત્રીઓ નેતાઓથી લઈને જનતાનો રોષ ઠારવામાં ઠાવકા મનાતા હતા.


એટલા માટે જ સરકારના નાકે દમ આવે છે

એમ પણ કહેવાય છે સરકારોના હાથ લાંબા હોય છે. પણ અહીંયા ટુંકા પડી રહ્યા છે. અને એનું કારણ એ છે કે આ આંદોલનોનો કોઈ નેતા નથી. અને જ્યાં નેતા બનીને મલાઈ ખાવાની વાત આવી તો ત્યાં તરત ઉઘાડા પડી ગયા. જૂની પેન્શન યોજના સહિતની માગો સાથે મેદાને પડેલું શૈક્ષિક સંઘ પહેલા તો માની ગયું છે એવી હવા ચાલી. સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પેંડા પણ ખવડાવી દીધા. અને બાદમાં જે થયું એમાં એ આંદોલનના નેતાઓ અને સરકાર બન્નેની કીરકીરી થઈ ગઈ. કારણ કે શિક્ષકો એમના સંગઠનના નેતાઓની વાત માનવા તૈયાર ન થયા, કે જેમાં તેઓ કહેતા હતા કે 2005 પહેલાના કર્મચારીઓને કેન્દ્રના નિયમો મુજબ OPS(જૂની પેન્શન સ્કીમ) આપવામાં આવે. અને થયું એવું કે બીજા જ દિવસે આખાય રાજ્યના મોટા ભાગના જિલ્લામાં શિક્ષકો માસ સીએલ પર રહ્યા. હવે મુંજવણ એ વાતની છે કે આ આંદોલનો ઠારવા માટે કોનો હાથ પકડવો? કોને સમજાવવા? ક્યાંથી એનો તોડ લાવવો?


નિરાકરણ આવે પણ ખરૂં અને કદાચ ન પણ આવે... પરંતુ લાભ અને નુકસાનની ભીતી અત્યારથી સામ-સામે સેવાવા લાગી છે. જો આ આંદોલન વોટમાં કન્વર્ટ થાય છે જેમાં ભાજપની જ ભગિની સંસ્થા કિસાન સંઘ પણ સામેલ છે, તો વિચારો કે આ મૂળિયામાં ઘા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.