મહેસાણામાં ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીના મોતનો ભેદ ઉકેલાયો, સાથી વિદ્યાર્થીએ જ કરી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2023-05-03 14:20:41

મહેસાણાના વડસ્મામાં આવેલી ફાર્મસી કોલેજની 21 વર્ષીય વિદ્યાર્થિની તિતિક્ષા પટેલ નામની યુવતીના મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા પ્રમાણે તિતિક્ષા પટેલના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ જ  તેની હત્યા કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું હતું. જોકે ઘટનાના બે દિવસ બાદ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ યુવતીએ આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી.


એક તરફી પ્રેમમાં હત્યા


અત્રે ઉલ્લેખનિય છે કે મહેસાણાના વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થિનીનો બે દિવસ પહેલા કોલેજની લેબોરેટરીની બિલ્ડીંગમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ હવે મળતી વિગતો મુજબ, ફાર્મસીની વિદ્યાર્થિની તિતિક્ષા સાથે અભ્યાસ કરતો યુવક તેના એક તરફી પ્રેમમાં હતો અને તે સતત તિતિક્ષા પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. બનાવના દિવસે તે તિતિક્ષાને લેબ રૂમમાં લઈ ગયો હતો અને તેનું નાક અને મોઢું દબાવીને હત્યા કરી બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે હત્યારા પ્રવિણ ગામિત સામે ફરિયાદ નોંધાઈ છે.  હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


દીકરી ક્યારેય આપઘાત ન કરે-પરિવારજનો 


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામની તિતિક્ષા નટુભાઈ પટેલ નામની એક વિદ્યાર્થિની મહેસાણાના વડસ્મામાં આવેલી સત્સંગી સાકેતધામ રામ આધ્રં ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વડસ્મા દ્વારા સંચાલિત ફાર્મસી કોલેજમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિનીનો મૃતદેહ કોલેજની જ નિર્માણાધિન લેબોરેટરીમાંથી મળી આવ્યો હતો. દીકરી ક્યારેય આપઘાત ન કરી શકે તેવું જણાવતા પરિવારજનોએ તેની હત્યાની આશંકા દર્શાવી હતી અને તટસ્થ તપાસની માંગણી કરી હતી.


વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ


21 વર્ષીય તિતિક્ષા પટેલનો વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક કેમ્પસમાં આવેલી લેબોરેટરીમાંથી મૃતેદહ મળી આવ્યો હતો. પરંતુ હવે તેની હત્યાનો ખુલાસો થતાં બધા ચોંકી ગયા છે. બીજી તરફ કેમ્પસની અંદર જ હત્યા થતાં કોલેજમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ મામલે હવે કોલેજના સત્તાવાળાઓ પણ મૌન સેવી રહ્યા છે. કોલેજમાં જ વિદ્યાર્થિની હત્યા થાય અને તેની સુરક્ષા પણ ન થઈ શકે તો પછી વાલીઓ કોના ભરોસે તેમની દિકરીઓને અભ્યાસ માટે મોકલશે, તેવા સવાલો થઈ રહ્યા છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.