પ્રધાનમંત્રી મોદીએ સુરતમાં CM અને CRની વાહવાહી કેમ કરી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 13:23:56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. આજે તેમનો ગુજરાત મુલાકાતનો પ્રથમ દિવસ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં તેમણે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શોનું આયોજન કર્યું હતું અને સંબોધન કર્યું હતું.


પ્રધાનમંત્રીએ સીએમ અને સીઆરની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા સંબોધન કર્યું હતું જેમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ભરપેટ વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુરતના વિકાસ માટે મુખ્યમંત્રી અને સીઆર પાટીલને અભિનંદન. પ્રધાનમંત્રી મોદીએ સીએમ અને સીઆરને સુરતની જનભાગીદારીનું ઉદાહણ જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ભારતના સ્વચ્છ શહેરોમાં સુરતનું નામ આવે છે. 


સુરત વિધાનસભા ચૂંટણીનું કેન્દ્ર રહેશે?

ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સુરતમાં ફાવી ગઈ હતી. તેમને સારી સીટ મળી હતી. ત્યાર બાદથી ભાજપ સુરત પર નજર રાખીને બેઠી છે. આમ આદમી પાર્ટી અને પાટીદારોની સુરતમાં સારી પકડ છે. સુરત પશ્ચિમની બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદિયા બાદ હવે નરેન્દ્ર મોદીને પણ સુરતની મુલાકાત લેવી પડી છે. કોંગ્રેસની કામગીરી સુરત મામલે સુસ્ત લાગી રહી છે પરંતુ તે પણ પોતાની રીતે વિધાનસભા ચૂંટણી જીતવા માટે બેઠકો પર બેઠકો કરી રહી છે. સુરતમાં સૌરાષ્ટ્રના વેપારીઓ અને પાટીદાર લોકોનો દબદબો છે. 2017 વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર આંદોલનની અસર પણ સુરતમાં જોવા મળી હતી. આ સમયે પણ સુરત પર સૌની નજર રહેશે. 


આ વખતે પ્રધાનમંત્રી ખુશ નજર આવ્યા 

પ્રધાનમંત્રીની આ વખતની ગુજરાત મુલાકાત કંઈક ખાસ નજર આવી રહી છે. જ્યારે ગત મુલાકાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉદ્ઘાટન દરમિયાન દાદરા ચડતા પડી ગયા હતા ત્યારે પ્રધાનમંત્રીના હાવભાવ એકદમ ગંભીર હતા. થોડું પાછળ જઈએ તો આ ઘટના પહેલા બોટાદ અને અમદાવાદ વિસ્તારમાં લઠ્ઠા કાંડ થયો હતો. 45થી વધુ લોકો આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદની પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત હતી ત્યારનો તેમનો અંદાજ અને અત્યારની હળવાશમાં જમીન આસમાનનો ફેર છે. એરપોર્ટ પરથી ઉતરતાની સાથે જ તેઓ એકદમ ગંભીર મુદ્રામાં નજર આવી રહ્યા હતા. આ મુલાકાતમાં તેઓ મુખ્યમંત્રી અને સીઆર સાથે સ્મિત કરતા નજરે પડે છે. 


સુરતમાં પ્રધાનમંત્રી મોદીનું ભાષણ 

પ્રધાનમંત્રીએ સુરતમાં વિવિધ પ્રજાલક્ષી લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું. મહાઋષિ આસ્તિક સ્કૂલથી નીલગીરી સર્કલ સુધી રોડશો કર્યા બાદ સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે સુરત આવો તો સુરતમાં જમણવાર કરવો જ પડે. સુરતનું જમણ અને કાશીનું મરણ જરૂરી છે. સુરતથી કાશીની નવી ટ્રેન શરૂ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેનથી વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટો લાભ થશે તેવું તેમનું માનવું છે. સુરતના કાપડ બજારનું કાશી સાથે કનેક્શન છે. ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે પ્રધાનમંત્રી ક્યારેય પોતાને સ્થળો સાથે જોડવાનું ભૂલતા નથી. આ વખતે સુરત મુલાકાતમાં તેમણે સુરતને મિનિ હિન્દુસ્તાન કહીને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સુરત શહેર શ્રમને સન્માન કરતું શહેર છે. 


સુરત બાદ આ જગ્યાઓની મુલાકાત કરશે પ્રધાનમંત્રી 

આજે બપોરે 2 કલાકે ભાવનગર ખાતે 5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદના GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે