વાઘોડિયા બેઠક પરથી લડશે Madhu Shrivastav? Shaktisinh Gohil જોડે થઈ બેઠક, જાણો શું વાત થઈ?


  • Published By :
  • Published Date : 2024-04-10 16:06:36

એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ પેટા ચૂંટણીને લઈ ઉમેદવાર કોણ હશે તેની ચર્ચાઓ થઈ રહી છે.. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તો મતદાન થવાનું છે જ પરંતુ પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી માટે ભાજપે પહેલેથી જ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે તો કોંગ્રેસ પણ આ ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે તેવું લાગી રહ્યું છે.   

વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ આપશે મધુ શ્રીવાસ્તવને ટિકીટ?

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. ચૂંટણી હવે નજીક છે તો ક્યાંક ભાજપમાં ડખો છે તો ક્યાંક ઉમેદવારો સામે લોકોની નારાજગી. અને રાજકોટ લોકસભા બેઠકની તો વાત જ જુદી છે અને આ બધા વચ્ચે વડોદરામાં પણ કંઈક નવા જૂનીના એધાણ દેખાઈ રહ્યા છે કારણકે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. આ બેઠક એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકીટ મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે થઈ હતી બેઠક 

વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. વાઘોડિયાના ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ સામે આવી રહી છે કે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ માટે લૉબિંગ શરૂ કરાઈ ગયું છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ગઈકાલે શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે બેઠક થઈ હતી.  


 મધુ શ્રીવાસ્તવે કહ્યું કે... 

પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગઈકાલે વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા પહોંચ્યા હતા. જેથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિભાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી લડશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. જેની સામે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપથી છેડો ફાડ્યાને એક વર્ષ થઇ ગયું છે. મેં કોગ્રેસમાંથી ચૂંટણી લડવાની માગણી કરેલી છે. કોંગ્રેસ ટિકીટ આપશે તો લડવાનો જ છું અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી. ખુલ્લું મેદાન છે અને આ મધુ શ્રીવાસ્તવ છે. લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. 


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?

શું મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડાવશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી. ત્યારે જોવું રહ્યું કે વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે જાહેર કરે છે? 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.