ભારત અને કેનેડાના સંબંધો સતત તણાવપૂર્ણ થઈ રહ્યા છે. ઘણા સમયથી કેનેડામાં ખાલિસ્તાનીઓ ભારત વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક દિવસોથી કેનેડાથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે એ માતા પિતાનું ટેન્શન વધારે છે જેમના બાળકો કેનેડામાં રહે છે. ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડામાં ભારતીય દુતાવાસ સામે ખાલિસ્તાની સમર્થકોએ ફરી એક વાર વિરોધ પ્રદર્શન કર્યું છે. 25 સપ્ટેમ્બરે ટોરંટો શહેરમાં અંદાજીત 100 પ્રદર્શનકારીઓએ ભારત વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા.
ખાલિસ્તાની સમર્થકોએ કર્યું વિરોધ પ્રદર્શન
એક સમયે ભારત અને કેનેડા મિત્ર દેશ કહેવાતા હતા. અનેક ભારતીયો કેનેડામાં સેટલ થયા છે તો અનેક વિદ્યાર્થીઓ કેનેડા જઈ રહ્યા છે. ભારતને કેનેડાના સંબંધમાં થોડા સમયથી તિરાડ આવી ગઈ છે. નિજ્જરની હત્યા બાદ કેનેડાના પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સંબંધોમાં ગરમાવો જોવા મળ્યો છે. બંને દેશોએ આ નિવદેન બાદ જે નિર્ણયો લીધા તેનાથી આપણે સૌ વાકેફ છીએ. એડવાઈઝરી બહાર પાડવામાં આવી વગેરે વગેરે.... ત્યારે ગઈકાલે પણ કેનેડામાં દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એવી પણ માહિતી સામે આવી રહી છે જેમાં પીએમ મોદીના ફોટા પર જૂતા મારવામાં આવ્યા હતા.
ભારતના તિરંગાનું કરાયું અપમાન!
એવી માહિતી સામે આવી છે કે વિરોધ પ્રદર્શન બે જગ્યાઓ પર કરવામાં આવ્યા હતા. કેનેડાના વાનકુવરમાં ભારત વિરૂદ્ધ ખાલિસ્તાનીઓએ પ્રદર્શન કર્યું હતું. જ્યાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દૂતાવાસની બહાર ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ દરમિયાન એવા પણ દ્રશ્યો સામે આવ્યા જેમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતનો તિરંગો ફાડ્યો હતો.